tgoop.com/competitive_exam_warrior/2489
Last Update:
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ખેડા જિલ્લાના મહેમદાવાદથી આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દેશની આઝાદીના ૭પ વર્ષ પૂર્ણ થવા અવસરે ઉજવાઈ રહેલા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ત્રિદિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો ઐતિહાસિક ખેડા જિલ્લાના મહેમદાવાદથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા સ્પષ્ટ્પણે જણાવ્યું કે, ગામડાઓના સર્વાંગી વિકાસ થકી ગુજરાતને આત્મનિર્ભર બનાવવાનો રાજ્ય સરકારનો સંકલ્પ છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે આત્મ નિર્ભર ગુજરાત હોવું જરૂરી છે. રાજ્ય સરકારની પ્રજાકલ્યાણની યોજનાઓ છેવાડાના માનવી અને ગામડાઓ સુધી આત્મનિર્ભર ગ્રામ વિકાસ યાત્રાના માધ્યમથી પહોંચાડવાનો આ પ્રયાસ છે.
ગામડાઓની નાનામાં નાની મુશ્કેલીઓ નિવારવાની જવાબદારી સરકારની છે અને તે માટે સરકાર કટિબદ્ધ છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સ્વદેશીનો નારો આપી ગામડાઓની અર્થતંત્રમાં ભૂમિકા મહત્વની ગણાવી હતી ગાંધીજીએ કહેલું કે, સાચુ ભારત ગામડાઓમાં વસે છે. ગામડાઓ ભારતના હદય સમાન છે
આવો જ સંકલ્પ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે કર્યો છે. ત્યારે, ગામડાઓમાં સુવિધાઓ સાથે સ્વાવલંબી બને અને છેવાડાના માનવીઓને પણ શહેરો જેવી સુવિધાઓ પ્રાપ્તે થાય તેવો અમારો પ્રયાસ છે
ગામડાઓમાં વીજળી, પાણી, આરોગ્ય, શિક્ષણ જેવી પ્રાથમિક અને ભૌતિક સુવિધાઓ આપી શહેરો સમકક્ષ બનાવવામાં આવી રહ્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મહાત્મા ગાંધીના ગ્રામ સ્વરાજ્ય અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની આત્મનિર્ભર ગ્રામની વિભાવનાને ગુજરાત આ આત્મનિર્ભર ગ્રામ યાત્રાથી જનભાગીદારી દ્વારા સાકાર કરશે.
મુખ્યમંત્રીશ્રીએ આત્મ નિર્ભર ગ્રામ યાત્રા રથનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ ખેડા જિલ્લામાં વિવિધ વિભાગોના રૂ.૫૩.૩૯ કરોડના ૧૯૩૬ જેટલા કામોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કરવા સાથે વિવિધ ૩૪૦૬ લાભાર્થીઓને રૂ. ર.૮ર કરોડના યોજનાકીય લાભોના ચેક, લોન સહાયનું વિતરણ કર્યું હતું.
મુખ્યમંત્રી શ્રી પટેલે ઉમેર્યું કે, દેશ કેવી રીતે આત્મનિર્ભર બની શકે તેનું ઉત્તમ ઉદાહરણ કોરોનાની મહામારીમાંથી મળી રહે છે.
કોરોના જ્યારે આવ્યો ત્યારે દેશમાં પૂરતી પીપીઇ કિટ્સ પણ નહોતી. આવા કપરા સંજોગોમાં વડાપ્રધાનશ્રીએ દેશને દિશાદર્શન કર્યું અને જ્યારે દુનિયાના બીજા દેશો આ મહામારી સામે થાકી ગયા તેવા સંજોગોમાં ભારતે આ રોગનો મજબૂતાઇથી સામનો કર્યો.
એક સમય એવો હતો કે કોઇ રોગ સામે રસી શોધવામાં પાંચ સાત વર્ષ નીકળી જતા હતા અને તેનું સંપૂર્ણ રસીકરણ કરવામાં દસ બાર વર્ષ થઇ જતાં હતા. તેની સામે કોવીડ મહામારીમાં ભારતે ટૂંકા સમયમાં જ રસી વિકસાવીને આત્મનિર્ભરતાનું અનોખું ઉદાહરણ પૂરૂ પાડી દેશના ૧૧૨ કરોડ નાગરિકોને કોરોના સામેની વિનામૂલ્યે રસી આપી સુરક્ષિત કર્યા છે.
રાજ્ય સરકાર દ્વારા ગામડાના ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ કરવા માટે પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપી રહી હોવાનું કહેતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વધુ પડતા રસાયણિક ખાતરો, દવાઓના વપરાશના કારણે તેની વિપરિત અસરો પડી રહી છે. તેના નિવારણ માટે રાજ્ય સરકાર મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે આયોજનબદ્ધ રીતે આગળ વધી રહી છે. શહેરીજનોને તેમાં ભૂમિકા અદા કરવાની અપીલ કરતા તેમણે ઉમેર્યું કે, ખેડૂતો દ્વારા ઉત્પાદિત પ્રાકૃતિક ખેત પેદાશોનો યોગ્ય ભાવ અને માર્કેટ આપી ઉપયોગ કરે તે જરૂરી છે.
આ કદમ લોકલ ફોર વોકલ તરફનું છે. તેમ તેમણે ઉમેર્યું હતું.
ગામડાઓના સર્વાંગી વિકાસ માટે નાગરિકો પણ સહયોગ કરે એ જરૂરી છે, તેમ કહેતા શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના એક ભારત, શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાકાર થઈ શકશે
╔════════════════
👇👇 Join Now👇👇
@competitive_exam_warrior
╚════════════════╝
BY competitive exam warrior
Share with your friend now:
tgoop.com/competitive_exam_warrior/2489